Monday 9 July 2012

Nastiko Ni Sabha Ma Bhajan

નાસ્તીકોની સભામાં ભજન

સ્વાભાવથી હુ નાસ્તીક છું. કોઈ પણ જાતનાં કર્મકાંડમાં મને શ્રદ્ધા નથી બેસતી. તેમ છતાં સુરતની એક જાણીતી નાસ્તીક અથવા તો એ લોકો જેને રેશનાલિસ્ટ સોસાયટી તરીકે ઓળખાવે છે તેમણે એક સમયે મને તેમની સભામાથી કાઢી મુકવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેનું કારણ એ હતું કે તેમનો સક્રિય કાર્યકર હોવા છતાંય મે તે નાસ્તીક સભા દ્વારા ડાંગ જીલ્લાના મહાડ ખાતે આયોજીત એક વિજ્ઞાન શિબિર દરમ્યાન ભજનો ગાયા હતા.


એક વખત અજાણતાં જ મેં આ સમગ્ર કિસ્સો મારી સાથે કામ કરતા એક ધાર્મિક સંપ્રદાયનાં અનુયાયી એવા મારા એક સહ કર્મચારીને કહ્યો. જેમનાં સંપ્રદાયની વિવિધ પ્રવૃત્તીઓનો નાસ્તીક સભા ભારે વિરોધ કરતી હતી. તેથી તેમની વચ્ચે ઘણો જ વાદવિવાદ ચાલતો હતો. તેથી મારા તે સહ કર્મચારીએ આ સમગ્ર બીના તેમનાં કોઈ મોટા વ્યકિતને જઈને કરી અને વાત જ્યારે મારી પાસે પાછી આવી તો કટ્ટર વાદી નાસ્તીકો તરીકે આવી. જો કે તેમની વાત સાવ ખોટી નહોતી. આસ્તીકો જેમ કટ્ટર વાદી હોય તેમ આ નાસ્તીકો પણ કંઈ ઓછા તો નહોતા જ. જેમ આસ્તીકોએ વિવિધ જડ નિયમો બનાવ્યા હોય છે. તેવી જ રીતે આ નાસ્તીકોએ પણ આમ નહિ કરવાનું તેમ નહિ કરવાનું એવા નિયમો બનાવ્યા હતા. 

મારા ભજન ગાવા સામે નાસ્તીક સભાનાં કેટલાંક કાર્યકરોનાં ભયંકર વિરોધ ને જોઇને હું ભારે વિમાસણમાં પડી ગયો હતો. કટ્ટર વાદી નાસ્તીકોનાં આવા વર્તન બાદ આસ્તીક કે નાસ્તીક કોઈ પણ જાતનાં વાદમાં ન પડવાનું તેમજ મને જે ગમે તે કરવાનું તેમજ બીજાને જે ગમતું હોય તેમ કરવા દેવાનો મધ્યમ માર્ગ અપનાવવાનો નિર્ણય ત્યારબાદ મેં કર્યો હતો. આ ઉપરાંત હા આ ઉપરાંત મારા માતાપિતા તેમજ પત્ની ખુશ થાય તે માટે જરૂર પડે શ્લોક બોલવાનો, જરૂર પડે તો કોઈ મૂર્તિ કે વડીલને પગે લાગવાનો માર્ગ પણ અપનાવ્યો હતો. છેવટે મને ઘરમાં શાંતિ જોઈતી હતી. મારા બે ચાર મિનિટ નાં શ્લોક બોલવાને કારણે તેઓ ખુશ રહેતા  હોય તો આ સોદો લાભનો જ હતો. 

હેદરાબાદના મારા સાડા ત્રણ વર્ષનાં નિવાસ દરમ્યાન બે ચાર વખત ભજન સંધ્યાની રમઝટ બોલાવી હતી. પરંતુ મુંબઈમાં તે આદત છૂટી ગઈ છે. પરંતુ ટ્રેનમાં ભજન મંડળી આવતા રાજી થઈ જાઉ છુ. તેમની સાથે મારો ટાઈમ સેટ થતો ન હોવાથી જોડાઈ શકતો નથી તેનો રંજ રહે છે. આમ તો કોઈ ભિખારીને ભીખ આપવાનું ટાળતો હોઉં છુ પરંતુ એક તારા કે ડફલી વગાડી ભીખ માંગનારને રૂપિયો આપતા ખચકાતો નથી.

નાનો હતો ત્યારે મારા એ પાડોશીઓ જેઓ મને તેમની સાથે ભજન મંડળી માં લઈ જતા તેમનો આભારી હું હંમેશા માટે રહ્યો છું. કારણ કે તેમનાં કારણે જ મને ભજન ગાવાની પ્રવૃત્તીમાં રસ પડ્યો હતો. કૉલેજમા આવ્યો ત્યાં સુધી કોઈ હિન્દી ફિલ્મી ગીતો કે પછી ગુજરાતી સુગમ સંગીતની કોઈ રચના કરતા મને ભજનો વધુ આવડતા. તેથી જ કૉલેજના શિબિર દરમ્યાન બધાને નવાઈ લાગતી અને મારો જામો પડી જતો.
કૉલેજના વર્ષો દરમ્યાન જ હું નાસ્તીક સભાની પ્રવૃત્તીમાં જોડાયો. અંધશ્રદ્ધા નિવારણ, કૌમી એકતા જેવા વિષયો પર શેરી નાટકો કરતો. ધીમેધીમે તેમની વિચાર સરણી ને પણ અપનાવતો ગયો. એક સમયે બહુ જ ગમતો ગણેશચતૂર્થી ઉત્સવ ખોટો ખર્ચો છે તેવું માનતો થયો. આ બધું જ હોવા છતા ભજન ગાવાનો શોખ કંઈ ઓછો નહોતા થતો. મોડી રાત્રે ગણેશ મંડપમાં માત્ર બે ત્રણ મિત્રો જોડે બેસી ભજનો લલકાર તો. જો કે આજે મને સમજાય છે કે હું કંઈ સારૂ નહોતો કરતો. કંઈ કેટલાય લોકોની ઉંઘ બગાડ તો હોઈશ.

ફરી પેલી ડાંગનાં જંગલમાં આયોજિત વિજ્ઞાન શિબીરની વાત કરૂ તો ત્યાં પક્ષી દર્શન તથા આકાશ દર્શનના કાર્યક્રમો હતા. અમારી સાથે આવેલા ખગોળ શાસ્ત્રી રાત્રે પોતાનો ટેલિસ્કોપ કાઢી વિવિધ તારાઓ તથા ગ્રહોની જાણકારી આપતા. આ નાગરિક શિબિર માં અમુક વિશેષ સંપ્રદાયનાં લોકો પણ આવ્યા હતા. તેઓ રાત્રે એક ખૂણામાં બેસી તેમનાં ગુરૂનો ફોટો કાઢી તેમનાં ભજનો લલકારતા. હું પણ તેમની સાથે જોડાતો અને ભજનો ગાતો. આમ પણ ત્યાં રાત્રે ખાસ કંઈ બીજી પ્રવૃત્તી ન હોવાને કારણે અમારી આ ભજન પ્રવૃત્તી ઘણી લોકપ્રિય થઈ ગઈ હતી. જો કે મને ત્યારે ખબર નહોતી કે નાસ્તીક સભાનાં કાર્યકર હોવાને નાતે મારાથી આ રીતે ભજનો ન ગવાય.

વિજ્ઞાન શિબિર પૂર્ણ થયા બાદ સુરતમાં મળેલી અમારી નાસ્તીક સભાની એક મિટીંગમાં કેટલાંક સભ્યોએ મને નાસ્તીક સભામાંથી કાઢી મુકવાનો પ્રસ્તાવ મુક્યો. તેનાં કારણમાં વિજ્ઞાન શિબિર દરમ્યાન મેં ગાયે લા ભજનો ને સાબિતીરૂપ ગણાવવામાં આવ્યાં. એટલું જ નહિ મારા ભજનમાં આવતા શબ્દોને પણ આગળ ઘરી હું નાસ્તીક સભા માટે લાયક નથી તેવું કહેવામાં આવ્યું.

હું તો આ સમગ્ર ચર્ચાથી હેબતાઈ ગયો હતો. હું ભજન જરૂર ગાતો હતો. કારણ કે તે મારી ગમતી પ્રવૃત્તી હતી. પરંતુ તેમ છતા હું નાસ્તીક હતો. મને નાસ્તીક સભામાંથી કાઢી મુકવામાં આવે તે પ્રસ્તાવનો વિરોધ કરવા તે સમયે મારી સાથે જ તે શિબિર માં આવેલા મારા વકીલ મિત્ર જગદીશ વક્તાણા ઉભા થયા. તેઓ પણ તે શિબિર માં મારી સાથે ભજનમંડળી માં જોડાતા હતા. તેમણે દલીલ કરતા કહ્યું કે આપણે રેશનાલિસ્ટો છીએ, નાસ્તીકો છીએ પરંતુ કંઈ અૌરંગઝેબ નથી. ભજન તો સંગીતનો એક પ્રકાર છે. સંગીત કોઈ પણ માણી શકે. તેથી સંગીતનો વિરોધ આપણે ન કરી શકીએ.

નાસ્તીક સભામાં આ મામલે ભારે ઉગ્ર ચર્ચાઓ ચાલી. શેરી નાટકોમાં પણ સંગીતનો ઉપયોગ કરીએ છીએ તેવી તેમજ બીજી બધી ઘણી દલીલો કરવામાં આવી. તેમજ છેવટે મને નાસ્તીક સભામાંથી કાઢી મૂકવાનો પ્રસ્તાવ મૌકુફ રાખવામાં આવ્યો. તેમજ નાસ્તીકોની સભામાં ગાઈ શકાય તેવા કોઈ શબ્દો ઘરાવતી પ્રાથનાની શોધ કરવામાં આવે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો.  જો કે નાસ્તીકોથી ગાઈ શકાય તેવી કોઈ પ્રાથના કે ભજનો મળ્યાં હોય તેવું મારી જાણમાં નથી.  



2 comments:

  1. very nice article.. જો બાવા બનવાથી જીવનમાં શાંતિ મળતી હોત તો અત્યાર સુધી આપણો જન્મ જ ના થયો હોત આપણા બાપદાદાઓ શાંતિ મેળવવા બાવા બની ગયા હોત અને આપણે કદાચ જન્મ ના થયો હતો. પરંતુ બાવા બનવામાં પણ શાંતિ નથી.. તેના પણ નીતિ નિયમો, સંયમ વગેરે વગેરે.... માટે જ ભજન એ ઇશ્વરપ્રાપ્તિનો માર્ગ હોય કે ના હોય તેની મને ખબર નથી પરંતુ તેનાથી તમારા તંગ જ્ઞાનતંતુઓ હળવા જરૂર થાય છે... એક વખત ચકાસી જૂઓ પછી મને કહે જો.....

    ReplyDelete
  2. ભજન ગાવાથી તમારા તંગ જ્ઞાનતંતુઓ હળવા જરૂર થાય છે. તે દલીલમાં દમ લાગ્યો. બાકી મને તો એટલી ખબર છે કે મને તેમાં આનંદ આવતો હતો. તેથી માત્ર નાસ્તીક છૂ એટલે આમ ન થાય તેમ ન થાય તેવા ગતરડાઓમાં પડ્યા વગર મને ગમતી પ્રવૃત્તીઓ કરવાનું ચાલું રાખ્યું છે. આભાર

    ReplyDelete